લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની પેટા કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક આજે ચેમ્બર કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં કચ્છના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બિસ્માર સ્થિતિ અને આવનારા ટોલ વધારાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
બેઠક ની વિગત પાઠવતાં, ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર ૨૦૨૪માં’નો રોડનો ટોલ’ આંદોલન દરમિયાન એનએચએઆઇ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું હજુ સુધી પાલન થયું નથી. અગાઉ અપાયેલ ખાતરીઓ ને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, રસ્તાઓની સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. તેમ છતાં એનએચએઆઈ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ટોલ ચાર્જ વધારવાની યોજના બનાવી રહ્યું છે, જે સંપૂર્ણ અન્યાયી છે.”
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ આ મુદ્દે વધુ પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, “કચ્છના હાઇવે પર દરરોજ ૧ લાખથી વધુ વાહનો પસાર થાય છે. મોટા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓના કારણે અકસ્માતનું જોખમ ખૂબ જ વધી ગયું છે. આ સ્થિતિમાં ટોલ વધારો લાદવો એ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે ઘોર અન્યાય છે.”
બેઠકમાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને ખજાનચી નરેન્દ્ર રામાણીએ પણ આ મુદ્દે પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેજા કાનગડે જણાવ્યું હતું કે, “રસ્તાઓની દયનીય સ્થિતિના કારણે વાહનોના ઘસારા અને બળતણનો ખર્ચ વધી રહ્યો છે, તેની સાથે જ ટોલ વધારવાની ચિંતા પણ વધી રહી છે.”
બેઠકમાં કારોબારી સભ્યો હરીશ મહેશ્વરી, કૈલાશ ગોર તેમજ ઓલ ટ્રાન્સપોર્ટ એન્ડ ઓપરેટર્સ એસોસિએશનના સર્વે હોદ્દેદારો પૈકી, સર્વે રમેશ આહીર, રમેશ મ્યાત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાવિન આહીર, શિવજી આહીર, રાજેશ મઢવી, ભગીરથસિંહ જાડેજા, ઇંદ્રજીતસિંહ જાડેજા, સતપાલસિંઘ, હર્ષદ પ્રજાપતિ, રાજેશ છાંગા, બંસલ કાર્ગો મૂવર્સ, આહીર કન્ટેનર મૂવર્સ, ઉપરાંત વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો પૈકી, ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ગાંધીધામ સ્થાનિક ટ્રક ઓનર્સ એસોસિએશન, કંડલા લિક્વિડ ટેન્ક ટર્મિનલ એસોસિએશન, કંડલા/મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ્સ વેલ્ફેર એસોસિએશન, ન્યુ જીજીટીએ વેલ્ફેર ફાઉન્ડેશન, કંડલા ટેન્કર ઓનર્સ એસોસિએશન, તેમજ ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેશન્સ એસોસિએશનના હોદેદારો-સભ્યો હાજર રહ્યા હતા. અને તેમના વિવિધ સુઝાવો રજૂ કર્યા હતા. તમામ પ્રતિનિધિઓએ એક સૂરે માંગ કરી હતી કે, એનએચએઆઈ દ્વારા પ્રસ્તાવિત ટોલ વધારાને તાત્કાલિક ધોરણે મુલતવી રાખવામાં આવે અને, કચ્છના તમામ રાષ્ટ્રીય હાઇવેનું તાત્કાલિક ધોરણે રિસરફેસિંગ કરવામાં આવે.
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, એનએચએઆઈ પોતાની પ્રતિબદ્ધતાઓનું પાલન કરે તે માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના મુખ્ય જનરલ મેનેજર (ટેક)ને આવેદન પત્ર પાઠવી ને વિનંતી કરવામાં આવી છે. જો આ માંગણીઓ પર કોઈ કાર્યવાહી નહીં થાય તો, આગામી દિવસોમાં ફરી એક વાર શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આ તબક્કે ઉચ્ચારવામાં આવી હતી.
માનદ મંત્રી મહેશ તિર્થાણીએ અંતમાં જણાવ્યું હતું કે, “કચ્છના વિકાસમાં હાઇવેની ગુણવત્તા અને સુરક્ષા એક મહત્વપૂર્ણ પાસું છે. અમે આશા રાખીએ છીએ કે એનએચએઆઈ અમારી માંગણીઓને ગંભીરતાપૂર્વક લેશે અને તાત્કાલિક પગલાં ભરશે.” તેવું આ અખબારી યાદીમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ મંત્રી મહેશ તિર્થાણી દ્વારા જણાવવામાં આવેલ છે.


