લોકભાષા-ભુજ :
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી.
વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારના કાર્યો કર્યા છે. અન્ય ગુરૂકુળોથી આ વૈદિક ગુરૂકુળને વિશિષ્ટ ગણાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાંથી ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સમાજને પ્રેરણા આપશે.
રાજ્યપાલએ સંસ્કૃતિને ટકાવી રાખવા ઉપર ભાર મૂકીને ઉમેર્યું હતું કે, આ ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. સંસ્કૃતિના મુખ્ય આધાર જ વેદો છે અને તેના લીધે જ વેદોનું શિક્ષણ જરૂરી છે. વૈદિક ગુરૂકુળોને દેશની મહત્વની સંપદા ગણાવીને ચાંદ્રાણી વૈદિક ગુરૂકુળ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ઉપયોગી બનશે એવો રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદજી સ્વામીના સદવિચાર અને સદવિદ્યાના પ્રચાર પ્રસાર માટે વૈદિક ગુરૂકુળ પ્રતીક બનશે એમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.
પ્રાસંગિક પ્રવચન કરતાં ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોની મહેનતથી કચ્છના ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે. મહંત સ્વામીએ ઉમેર્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાં તૈયાર થનારા વિદ્યાર્થીઓ સંસ્કૃતિની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વૈદિક ગુરૂકુળ પરિસરનું ઉત્તમ રીતે નિર્માણ થાય અને તેનો વહીવટ સુચારુ રીતે ચાલે તે માટે સૌ સંતોના માર્ગદર્શનમાં હરિભક્તોને સહયોગ આપવા મહંત સ્વામીએ અનુરોધ કર્યો હતો. દેશ દુનિયામાં તમામ નાગરિકો સુખી તેમજ સ્વસ્થ રહે એવા આર્શીવાદ મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ આપ્યા હતા.
ચાંદ્રાણી ખાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલનુ ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ કાર્યક્રમના અંતે આભારવિધિ રાપર ગુરૂકુળના સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીએ કરી હતી.
આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ચાંદ્રાણીના સરપંચ ગોવિંદભાઈ હુંબલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, મદદનીશ કલેક્ટર સુનિલ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવદ્જીવનદાસજી, સદગુરુ સ્વામ મુકુંદજીવનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી હરિબળદાસજી, વડીલ સંતો સદગુરુ સ્વામી દેવપ્રકાશ દાસજી, શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી, સદગુરુ સ્વામી નારાયણવલ્લભદાસજી, ભુજ મંદિરના કોઠારી શાંતિ સરપદાસજી, રાપર ગુરુકુળના શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના પુરાણી પ્રકાશદાસજી, માંડવી મંદિરના પુરાણી સ્વામી સંતજીવનદાસજી, અંજાર મંદિરના કોઠારી સ્વામી ધર્મચરણદાસજી, કૃષ્ણવિહારીદાસજી, પુરાણી સ્વામી ભક્તિવિહારી દાસજી, પુરાણી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી, સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસજી, શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી, સામબાઇ ફઇબા, મોટી સંખ્યામાં સાંખ્ય યોગી બહેનો, ભુજ મંદિરના કોઠારી કુરજીભાઈ જાદવજીભાઈ, રામજીભાઇ, રાપર ગુરૂકુળનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, ચાંદ્રાણી પંચાયતના સભ્યો, હીરાપર, ધાણેટી, દુધઈ આંબાપર, નવાપરા કોટડા વગેરે ગામના નાગરિકો સહિત સ્વામીનારાયણની વિવિધ સંસ્થાઓ અને મંદિરોના મહંત, હરિભક્તો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી સ્વામી અચ્છપ્રિયદાસજી તથા વ્યવસ્થાપક શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી તથા રામપ્રિય દાસજી રહ્યા હતા.