લોકભાષા-નખત્રાણા :
નખત્રાણામાં હાલ આધારકાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 40 હજારની વસ્તી ધરાવતા નગરના અને તાલુકા ભરના લોકો મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધીકામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે પરંતુ એકજ કેન્દ્રના કારણે લોકોને કલાકો સુધી ઠંડી તડકો સહન કરી રાહ જોવી પડે છે. આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારી નું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ના હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે લોકપ્રશ્ન નો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.
આજે ભારે ભીડ સર્જાતા નારાજ લોકોએ મામલતદારને ચેમ્બરમાં રૂબરૂ પહોંચી જઈ આધાર કાર્ડ માટે વધારા ના કેન્દ્રની માગ કરી હતી.
નખત્રાણામાં આધાર કાર્ડની કામગીરી માટે પરેશાન પ્રજાજનોએ સપ્તાહ પૂર્વે મામલતદાર સમક્ષ આધાર કાર્ડમાં પડતી હાલાકી નિવારવા વધારાના પોઇન્ટ ફાળવવા થવા માંગણી કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા નખત્રાણા અને તાલુકામાંથી આવતા આધાર કાર્ડના અરજદારો સવારથી સાંજ સુધી કામ ના થતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે. માત્ર 40 થી 45 ટોકન અપાતા આધારકાર્ડ માટે આવતા લોકોને દરરોજ ધક્કા પડી રહ્યા છે, જેને લઈ બબાલ પણ સર્જાઈ રહી છે. તંત્રની ઉદાસીનતાનો ભોગ પ્રજા બની રહી છે. લોકોનું માનીએ તો આ પ્રશ્નના ઉકેલ માટે કોઈજ અધિકારી કે પદાધિકારી આગળ આવી રહ્યા નથી. લોકો દરરોજ ભીડમાં ઉભા રહી ધકક્કામુકી કરી કામ વિના ઘરે પરત ફરી રહ્યા છે. આ મામલે તાકીદની કામગીરી કરી તંત્ર દ્વારા યોગ કાર્યવાહી હાથ ધરી વધારાનું કેન્દ્ર ઉભું કરાય તેવી માગ કરાઈ હતી.
આ અંગે મામલતદાર અરુણ શર્માએ જણાવ્યું કે આ મામલે રજૂઆતને ધ્યાને લઇ સંકલન બેઠકમાં મુદ્દાની ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટર સુધી ઓપરેટર જગ્યા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. સંભવિત આગામી 15 દિવસમાં નવા ઓપરેટરની મંજૂરી મળી શકે છે. જોકે હાલ સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી સતત આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે.
તસ્વીર : રાજેશભાઈ જોષી


