લોકભાષા-ભુજ :
નાના કપાયામાં બહાર જવા મુદે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે કુંદરોડી ગામે વેલ્ડીંગનું કામ કરતી વખતે મોટું ઢાંકણું માથા પર પડતાં શ્રમજીવી યુવાનનું ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ ખાવડા રોડ પર ખાલારા નજીક ગતી ભેર આવતા ટ્રેઇલરના ચાલકે બાઇકને અડફેટે લેતાં સરસરપરના યુવકનું મોત નીપજ્યું હતું.
મુળ ઉપરપ્રદેશના હાલ મુંદરા તાલુકાના નાના કપાયા ગામે ક્રિષ્નાનગરમાં રહેતા અનિલકુમાર સુરેશસિંગ નાયક (ઉ.વ.28)નો તેમની પત્ની સપનાબેન સાથે ઘર બહાર જવા મુદે ઝઘડો થયો હતો. જેમાં શુક્રવારની મોડી રાત્રે પત્નીને રૂમમાંથી બહાર કાઢીને રૂમ બંધ કરીને અનિલકુમારે છતની હુંકમાં સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. તો, તાલુકાના કુંદરોડી ગામે આવેલી આદિશક્તિ ગ્રીન રીસાયકલીંગ કંપનીમાં કામ કરતા અને મુળ બીહારના 32 વર્ષીય દિવાકર મુખ્તાર યાદવ નામના શ્રમજીવી ગુરૂવારે સાંજે કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. ત્યારે અચાનક ઉપરથી મોટું ઢાંકણું તેના માથા પર પડતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોડી રાત્રે મૃત્યું થયું હતું. પ્રાગપર પોલીસે બનાવની નોંધ લઇ તપાસ કરી છે. જ્યારે બીજીતરફ ભુજ તાલુકાના સરસપુર ગામે રહેતા સામજીભાઇ રાણાભાઇ કોલી (ઉ.વ.35) શુક્રવારે સાંજે સાડા છ વાગ્યે પોતાની મોટર સાયકલથી જઇ રહ્યા હતા. પાલારા નજીક ટ્રેઇલરના ચાલકે બાઇકને ટકકર મારતાં ગંભીર ઇજાઓ થવાને કારણે સામજીભાઇનું મોત થયું હતું. પોલીસે ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

